Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
Interview એક મુલાકાત – ગુજરાતના અભિનયસમ્રાટ: ઉપેન્દ્ન ત્રિવેદી
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
મુલકાત લેનાર – આનંદ ઠાકર
ગુજરાતી ફિલ્મ ‘વીર માંગડાવાળા’નો માંગડાવાળો બનીને જેને તલવારુંના ઘા ઝીલ્યા છે, ભરથરી બનીને બાણુંલાખ માળવાને ત્યાગી દીધો છે તો વળી, રા’ નવઘણ બનીને ગીરનારના રખોપા કર્યા અને વળી માલવપતિ મુંજ બનીને લોકોના હૃદયમાં રાજા તરીકે સ્થાન-માન પામ્યા તેવા ગુજરાતી ફિલ્મના પાયાના પથ્થર અને શિખરની ધજા જેવા શોભતા અને ગુજરાતની પ્રજાના લાડલા વ્યક્તિ તે બીજું કોણ હોઈ શકે? સૌને ફિલ્મોના નામ અને પાત્રોના નામ પરથી જ એક ગુચ્છાદાર વાળ અને સરખો બાંધો અને કસદાર કેડીયું પહેરેલું વ્યક્તિત્વ સામે આવી ગયું હશે. તે મોભાદાર વ્યક્તિત્વ એટલે જ પદ્મશ્રી ‘અભિનયસમ્રાટ’ ડૉ. ઉપેન્દ્ર ત્રિવેદી.
ઘણાં વખતથી જેમને મળવાનું મન થયું હતું તેનું સરનામું મળતા અને તેમની પાસે સમય લઈ અને અમે પહોંચ્યા તેમના ઘરે એક વાંચન રૂમમાં તેઓ વાંચી રહ્યા હતા ત્યાંથી આવ્યા અને બેઠા પછી પહેલાં દોરમાં તો તેમણે અમારો ઈન્ટરવ્યું લઈ લીધો… ક્યાંથી આવો છો, કેવી રીતે પૂછશો, શું પૂછશો વગેરે અને પછી તેમને કહ્યું કે કે ચાલો હવે ચાલું કરીએ. ત્યારે મેં મારા પ્રશ્નો શરૂ કર્યા.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
અભિનય ક્ષેત્રથી લઈને રાજકીય ક્ષેત્ર સુધીનો આપનો આટલો વિશાળ અનુભવ રહ્યો છે તો શું આપના જીવનમાં કોઈ એવી કુદરતી શક્તિનો સંકેત રહ્યો છે કે કોઈ એવી ઘટના ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર તમારી સાથે છે?
ઈશ્વર માણસને જ્યાં લઈ જવા માંગે છે, તેની પૂર્વભૂમિકા પહેલા તૈયાર કરે છે. તેની જન્મભૂમિ, પરિવેશ, તેના બાળપણના અનુભવો, સાથીઓ, બધી વસ્તુઓ-વાતો બનતી હોય છે. પણ ભવિષ્યમાં ક્યારેક ક્યારેક આ વાતો કામ લાગે છે, ત્યારે ખબર પડે છે. આ એક આયોજન પણ હોય, જીવનના ડગલેને પગલે અહેસાસ થયો છે.
– સન 2000માં હું વિધાન સભાનો ઉપાધ્યક્ષ હતો, મારા ઘુંટણમાં અસહ્ય વેદના હતી. મારા બન્ને ઘુંટણ કામ કરતા બંધ થઈ ગયા હતા. ડોક્ટરોની સલાહ મુજબ નીરિપ્લેસમેન્ટ કરવું જરૂરી હતું બન્ને પગે. બન્ને પગે નીરિપ્લેસમેન્ટ થાય, ઘૂંટણ બદલાય તે માટે સરકારશ્રીના ખર્ચે મુંબઈ, બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ડોક્ટરોએ નિદાન કર્યું કે કેશ બહુ ગંભીર છે અને વારંવાર પીડાના કારણે બેભાન થઈ જવાનું પણ બનતું હતું, બધા એક્સરેસ્ લીધા અને આ નિદાન કરીને મને 14મી એપ્રિલના રોજ 2000માં ઓપરેશનની તારીખ આપવામાં આવી. ડૉ. લાડ કરીને ત્યાંના સર્જન હતા. 12મી એપ્રિલે હું અમદાવાદથી મુંબઈ ગયો એટલે ડોક્ટરને બતાવ્યું કે 14મીએ આપણે ઓપરેશન કરીએ છીએ તમે 13મીએ દાખલ થઈ જાઓ હોસ્પિટલમાં.
12મીએ રાતે હું ઘરે આવ્યો અને ઘરે પથારીમાં મને સુવાડવામાં આવ્યો, બેસુધ હતો. અચાનક મને લાગ્યું કે કોઈ મને બોલાવે છે અને કહે છે, ઉભો થા હજી ઘણાં કામ કરવાના બાકી છે. મને ખબર ન હતી કે મેં શું સંવાદ કર્યો, પણ ઉભો થયો ધીરે ધીરે. નીચે કંપાઉંડમાં ગયો, આંટો મારતો હતો તો બધા આશ્ચર્યમાં હતા કે આ કઈ રીતે ચાલી શકે છે?! વોકર વગર, કોઈ સપોટ વગર. ત્યાં તો મને કંઈ નથી. એ રાતે નિરાંતે ઊંઘ આવી. બીજે દિવસે હોસ્પિટલમાં ગયો, ઉપર ગયો, ડોક્ટરને બતાવવા. મને કહે કેવી રીતે ઉપર આવ્યા? તમારા માટે પ્રોટોકોલ મુજબ સ્ટ્રેચરની બધી વ્યસ્થા કરી છે. ખુરશીમાં અવાય તમારાથી. પણ મેં કહ્યું મને કંઈ નથી, એ લોકો માની ન શક્યા. મને એક્સરે રૂમમાં લઈ ગયા, ફોટા પાડ્યા. બધા ફોટા પાડતાં ડોક્ટરે છેવટે કહ્યુઃ તમારા ઘૂંટણની જે ઢાંકણીઓ છે, તેના વચ્ચે ફ્લૂઈડ આવી ગયું છે, પ્રવાહી આવી ગયું છે, જેને આપણે ગાદી કહીએ છીએ એટલે બન્ને ઘૂંટણ દબાતા નથી અને તમને દર્દ થતું નથી. પછી તેને જુના એક્સરે સરખાવીને જોયાં તો ઘુંટણ ઘસાતા હતા. એક રાતમાં શું ફેરફાર થયો? એટલે એ લોકોએ મને હોસ્પિટલમાં દાખલ કરીને મારા અનેક ટેસ્ટ લીધા. નખનો, ચામડીનો, વાળનો. ફ્લૂઈડ આવે તો એક-એક ટીપું-ટીપું આવે, એક સાથે રાતોરાત આમ બધું ભરાઈ જાય, એ બહુ દ્વિધામાં પડી ગયા.
કહેઃ તમારું ઓપરેશન નહીં કરી શકીએ અમે. મે કહ્યુઃ પાછળથી, વાંધો પડે, આ બ્રાહ્મણ પાસે પૈસા હોય ન હોય, સરકારી ખર્ચે હમણાં થાય છે કરી નાખો. તો કહે, સાજા માણસનું ઓપરેશન કઈ રીતે કરવું, તમે આ ઘૂંટણ સાથે ફૂટબોલ રમી શકો તેવી સ્થિતિમાં છો, એટલે અમે પાછા આવ્યા. આજે 2013 મે મહિનો ચાલે છે. તેર વર્ષને એક મહિનો થઈ ગયો એ વાતને. હજુ હું હરીફરી શકું છું, ચાલી શકું છું, બધું કામ કરી શકું છું. હવે આમાં ઈશ્વરની કરુણા સિવાય બીજી કોઈ વસ્તુ મારા માનવામાં આવતી નથી. કદાચ નીરિપ્લેસમેન્ટ કર્યું હોત અને તે કેવું થયું હોત તે સારું પણ થયું હોત, પણ હવે એ પીડામાંથી હું બચી ગયો.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
ઊજ્જૈનથી આપની યાત્રા શરૂ થઈ, આકાશવાણી સુધી, ધીરે ધીરે આ અભિનય સમ્રાટ અને પદ્મશ્રી સુધી પહોંચ્યા, આટલા લોકોનો પ્રેમ અને સ્નેહ આપે મેળવ્યો એ પહેલા શું આવું કોઈ સપનું કે વિચાર હતો, અહીં સુધી પહોંચવા માટે?
ના. અભિનય ક્ષેત્ર લેવાનો વ્યવસાય તરીકે કોઈ ઉદ્દેશ્ય ન હતો. પણ જે કેટલીક ગેરસમજણોના કારણે, દેખાદેખીના કારણે. ઉજ્જૈનમાં રામલીલા ખૂબ પ્રખ્યાત હતી. એટલે ઘરે આવીને અમે તેનો અભિનય કરતા, હું રામ બનતો. અરવિંદભાઈ, જેમ પાછળથી બન્યા તેમ લંકેશ રાવણની ભૂમિકા કરતા અને અમે એ કરતા હતા, પણ તે આનંદ ખાતર કરતા હતા, લાકડાની તલવારો, પૂઠાંના મૂગટ પહેરીને. પછી તો રોજબરોજના કામોમાં એવા તો અટવાઈ ગયા, પછી તો શરીર કેળવાયેલું કુસ્તીથી, તલવારબાજી, ઘોડાબાજીથી, પણ એવો મારો કોઈ ઉદ્દેશ નહતો. ઉજ્જૈનથી અહીં આવી કોમર્સ કોલેજમાં દાખલ થયો.
મને વિદ્યા કરતા હોજરીની કદર વધારે હતી. હોજરી ભરવી પડે આપણે. એટલે હું કારખાનાઓમાં નોકરી પણ કરતો, રાતપાળીઓ પણ કરતો. લોખંડની ફેક્ટરીમાં રેવેટિંગનું કામ કરતો, ફૂગ્ગાની ફેક્ટરીમાં એસિડમાં હાથ દઝાડ્યા છે. આવું બધું કરતાં-કરતાં વધું નાટક તરફ પ્રીતિ જન્મવા માંડી. મારા મોટાભાઈ હતા તે નાટોકો કરતાં, ભાલચંદ્રભાઈ, જેમનું હમણાં અવસાન થયું, તે નાટકો આનંદ ખાતર કરતા હતા. તેમાંથી પછી વાહવાહી થવા લાગી, તાળીઓના ગડગડાટ સંભળાવા લાગ્યા. છોકરીઓ વચ્ચે છાતીના બટન ખુલ્લા રાખીને ફરતા થયા. પછી નાટકો કરતો ગયો.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
‘ઝેરતો પીધા જાણી-જાણી’, ‘વેવિશાળ’ને ‘વસ્તુપાળ-તેજપાળ’, ‘મેજર ચંદ્રકાંત’, ‘આ તમને ઓઝલમાં રાતમાં’, ‘અભિનયસમ્રાટ’ અને, તેમાં પૈસા ખૂબ મળવા લાગ્યા. પછી અભ્યાસ તો મુકી દીધો હતો, પણ મારી કારકિર્દી અને જીવનની ઉપલબ્ધી જોતાં દક્ષિણ ગુજરાત નર્મદ યુનિ. અને ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિ. બન્નેએ મને ડોક્ટરેટ અને ડી.લિટ.ની માનદ પદવી આપી છે. તો આ બધું બન્યું છે તે સહજ રીતે સ્વાભાવિક રીતે કોણ જાણે પૂર્વસંસ્કારને લીધે હું ક્યારેય છકી નથી ગયો. ફગી નથી ગયો કે ધડો મુક્યો નથી. કદી હીરો તરીકે દેખાડો કરવાની કોશિશ નથી કરી. કેમેરા સામે અલબત્ત કરી શકું પણ વ્યવહાર જીવનમાં હું સામાન્ય માણસ તરીકે જીવવાનું પસંદ કરું છું, કારણ કે અંદરથી હું જાતને છેતરવા નથી માંગતો, કારણ કે હું જાણું છું કે હું સામાન્ય માણસ છું અને ઈશ્વર મારી આજુબાજુ આભામંડળ તૈયાર કરી રહ્યો છે.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
આપે કહ્યું કે ઈશ્વર આપની આસપાસ એક આભામંડળ રચી રહ્યો છે, તો આપના જીવનમાં ધર્મની કઈ રીતની ભૂમિકા છે?
ધર્મ એ આપણા દેશનો પ્રાણ છે. એ વાત વિદેશીઓને પણ સમજાવવાની જરૂર નથી, બધા સમજે છે. ધર્મ તેના સંકુચિત અર્થમાં નથી કહેતો હું, પણ જે કંઈ મેં સંસ્કારમયતા પ્રાપ્ત કરી હોય તે અને કુદરત સાથે સહકાર, વનસ્પતિ અને પશુઓ સાથેનો પ્રેમ અને સહમાનવ પ્રત્યેનો વિશ્વાસ. આ આપણી વૈદિક પ્રણાલિકા પ્રત્યેનો વિશ્વાસ, ઋષિઓના ચિંતન મુજબ આપણે પ્રાપ્ત થયું છે. કોઈ જાતનું તેના તરફ દ્વેષ જેવું નથી. કોઈ હિન્દુ કહે કે હું નાસ્તિક છું તો તેને હિંદુ ધર્મની બહાર નથી કરી દેવામાં આવતો, તે નાસ્તિક પણ હોઈ શકે છે. તમને શેમાંથી અનુભૂતિ થઈ છે, ધર્મમાં તમારી પ્રીતિ આ છે. ઈશ્વર છે એટલે હું વિશ્વાસ કરું છું. કહી શકું છું કે ઈશ્વરે મને અહીં અહીં સંભાળ્યો છે. ઈશ્વર નથી તો બીજું કોણ છે? હું નથી તો આ કોણ છે? શબ્દોની મારા મારી છે, આ અનુભૂતિની મારામારી નથી.
કોઈ ઈશ્વર કહે, કોઈ ગોડ કહે, અલ્લાહ કહે, એ જુદી વાત છે. અનુભવ દરેકનો સરખો હોય છે. અગ્નિમાં હાથ નાખો તમે તો હાથ બળે છે, એ ભારતવાસીને કે પાકિસ્તાનીને કે અમેરિકનને કહેવાની જરૂર નથી. દરેક માણસનો એક જ અનુભવ છે.
આપે જીવનમાં આટલા સંઘર્ષો વળોટીને આ મુકામ પર પહોંચ્યા છો ત્યારે જીવનમાં કેટલાય ઉતાર-ચઢાવ આવ્યા હશે ત્યારે જીવનમાં ખુશ રહેવાનો તમારો મંત્ર શું છે?
સહજ રીતે આવ્યું તે વધાવ્યું છે, સંઘર્ષ મેં કર્યો છે તેવું હું માનતો જ નથી. મને એવું નથી થતું કે હું ભૂખે મરતો હતો ત્યારે યે ઝાલિમ જમાના કહાં થા, એવી કડવાશ નથી. મારી પાસે આવેલી સહજ વાતને સ્વીકારી છે. મેં તો હમેશા એટલી જ કલ્પના કરી હતી અને ઈચ્છ્યું ’તું કે – સાંયા ઈતના દિજીયે જામે કુટુંબ સમાય, મૈં ભી ભૂખા ન રહું, સાધુ ભી ભૂખા ન જાય. – મારી પાત્રતા કરતા પણ ઈશ્વરે મને ઘણું આપ્યું છે. મારી યોગ્યતા કરતા વધુ લાડ મને ગુજરાતે લડાવ્યા છે, એટલે મારે ફરિયાદ કરવાનું કારણ રહ્યું નથી અને અફસોસ કરવાનું કોઈ કારણ રહ્યું નથી. પરમપિતા પરમેશ્વરનો આભાર માનું છું.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
તમારા મતે સુખ કેવું હોવું જોઈએ? ભૌતિક કે માનસિક?
જો, ભૌતિક સુખ તો જરૂરી છે. સુખના પાંચ ખાના છેઃ મકાન, બેંક બેલેન્સ, ગાડી, સ્વાસ્થ્ય, પરિવાર. એક સરખા સુખ પાંચ જ છે પણ દુઃખ જગતમાં પ્રકારે – પ્રકારે છે. દરેક માણસે દુઃખ જુદું છે. એટલે મરિઝે જે કહ્યું છે કે – એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યારે બધાના વિચાર દે. – કારણ કે સુખની મજા એ છે કે જ્યારે આવે છે ત્યારે માણસ સુખી થઈ શકતો નથી કારણ કે તે એ ચિંતામાં રહે છે કે ક્યાંક જતું તો નહીં રહે ને? પ્રસન્નતા તો ભૌતિક સુખ આપી શકતું નથી. બીજી વાત રહી માનસિકની. માનસિક માટે પણ ભૌતિક સુખ સાધન રૂપે જરૂરી છે, એવું કહેવાય છે કે ભૂખે ભજન ન હોઈ ગોપાલા. માનસિક સુખ ત્યારે મળે છે જ્યારે તમે કોઈને ઉપયોગી થાઓ છો ત્યારે. માણસને તેની અનુભૂતિ થાય છે. એ સંવેદનશીલ હૃદય કઠોર ન બની જાય, આ યંત્રયુગમાં ખોવાઈ ન જાય, એ જોવાનું માણસ માટે મને શ્રેયસ લાગ્યું છે.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
આપને મૃત્યુનો ડર લાગે છે?
આમ તો આ મારું જીવન બોનસમાં ગણાય. આમ તો મારું જીવન સંન્યસ્તાશ્રમમાં જતું ગણાય. એટલે ઈશ્વરે જે કૃપા કરી છે તે આવી રીતે વરસતી હોય તેવું લાગે. પણ મૃત્યુની જે કલ્પના છે, લોકોમાં એક ભયાનક વસ્તુ તરીકે તે હકીકતમાં એવું નથી. આપણી સંસ્કૃતિમાં તો યમરાજ વધારે દયાળું છે. યમરાજ સાવિત્રીને પોતાની પુત્રીગણીને વરદાન આપે છે. બીવડાવતો નથી, તેના સત્વની પરીક્ષા કરી વરદાન આપે છે. સત્યવાનને જીવતો કરે છે. યમલોકના દ્વાર પર ભૂખ્યા-તરસ્યા બેસી રહેનાર નચિકેતાને યમ ડરાવતો નથી, તેને વરાદાનો આપે છે. મૃત્યુ વિશેનું રહસ્ય સમજાવે છે. એ રીતે મહાભારતમાં યક્ષ યુધિષ્ઠિરને સમજાવે છે. યક્ષ પૂછે છે કે સૌથી મોટું આશ્ચર્ય આ જગતમાં શેનું છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે પોતાની આસપાસ સૈંકડો માણસોને મરતા જોઈ માણસ માને છે કે હું મરવાનો નથી તે જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે. યક્ષ એક પછી એક વરદાન આપે છે અને યુધિષ્ઠિરના ભાઈઓ જીવિત થાય છે. મૃત્યુ બહુ દયાળું છે, તે આપણે માનીએ છીએ તેવું કષ્ટદાયક નથી, કારણ કે મૃત્યુ આપતા પહેલા જેમ કોઈ મકાન માલિક કહે છતાં મકાન ન છોડે તો જેમ એક પછી એક કનેક્શન તૂટી જાય, તેમ વ્યક્તિનું ધીરે-ધીરે સંભળાવું બંધ થાય,પીડાતો નથી. પછી તેને મરી રહ્યો હોય તેનો ખ્યાલ નથી આવતો. કેટલી સરળતાથી આપણા ઉપનિષદમાં કહ્યું છે તેમ – ત્ર્યંબકમ્ યજામહે…એટલે કે ઉર્વારૂક – પાકેલું ફળ ડીંટડામાંથી છૂટું પડી જાય તેમ તું મને છૂટો પાડજે.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
કહેવાય છે કે અભિનય પરકાયા પ્રવેશ છે, જો પુનર્જન્મ જેવું કંઈ હોય અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીને પસંદગી કરવાની હોય તો તેઓ શું બનવા ઈચ્છે?
‘પરકાયા પ્રવેશ શાસ્ત્ર’ તો શંકરાચાર્યએ ભારતમાં શાસ્ત્રાર્થ માટે વિચરણ કરતા હતા, ત્યારે કાશીમાં ત્યાં મંડન મિશ્ર શાસ્ત્રાર્થ થયો. ન્યાય કરવા માટે ઉભયભારતીને રાખવામાં આવ્યા. શંકરાચાર્ય બધા પ્રશ્નો જીત્યા. છેલ્લે ઉભય ભારતી શંકરાચાર્યને પ્રશ્ન કરે છે કે સ્ત્રી પુરુષના સહપોઢણમાં કયું સુખ છે? એટલે કહે હું તો સંન્યાસી છું. ઉભયભારતીએ કહ્યું કે જ્યાં સુધી ગૃહસ્થાશ્રમ વિશે કાંઈ ન કહી શકો ત્યાં સુધી જગતગુરુ ન કહેવાય. શંકરાચાર્ય કાશીનરેશનું મૃત્યુ થયું છે. શંકરાચાર્ય પોતાનો પ્રાણ તે રાજામાં નાખી રાજા સજીવન થાય છે. છ મહિના ત્યાં રહે છે, રાણીઓની ખટપટ જોઈને, ગૃહસ્થાશ્રમ જોઈને છ મહિના પછી પાછા ફરીને તે વાત કરે છે. હવે અભિનય શું છે? અભિનયમાં બે પ્રાણ વચ્ચે દ્વંદ્વ થાય છે. શંકરાચાર્યને એ સમસ્યા ન હતી તેને તો અંદર બીજો પ્રાણ હતો જ નહીં તો અહીં તો તમારી અંદર એક પ્રાણ છે, બીજાને આહવાન કરવાનું છે. માંગડાવાળા તરીકે તલવારનો અસલ ઝાટકો લાગવો જોઈએ, પણ ઉપેન્દ્ર તરીકે મારે એ પણ ધ્યાનમાં રાખવાનુ છે કે સામેવાળાને વાગી ન જાય. દરેક અભિનેતા એક સરોગેટ મધર છે. કવિકૂલભૂષણ કાલિદાસે અંતિમ શ્લોક મૂક્યો છે, શ્રી ઉમાશંકર જોષીએ તેનો અનુવાદ પણ કર્યો છે. તેને એક જ કામના કરી છે –
પ્રવર્ત જો જનહિત કાજ પાર્થિવ
સરસ્વતી શ્રૂત ગુરુની સુપૂજ્ય હો.
સુનિલરક્ત પ્રસુનશક્તિ સ્વયંભૂ શંભૂ જે.
મારો ય પુનર્જન્મ ટાળજો.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
આપની સફળતાનો શ્રેય આપ કોને આપવા ઈચ્છશો?
આ પૃથ્વીગ્રહને સફળતાનો શ્રેય આપવો જોઈએ, વ્યક્તિઓ આવે, કુદરત આવે, પણ મનના દરવાજા ખુલ્લા. ‘આ નો ભદ્રાક્રતવો યન્તુ વિશ્વતઃ।’ આ લાગણી કેળવેલી, બીજું જે કામ કરતો હતો તે રસપૂર્વક કરતો હતો. રાજકારણમાં પણ કોઈ આંગળી ચીંધી ન જાય કે આને આવું ખોટું કર્યું છે, ત્રણ વાર ચૂંટાયો. નાટક કોઈ ખોટા કર્યા છે એવું નથી, ફિલ્મમાં પણ આછકલાઈ દાખવી નથી, શાલીનતા જ દાખવી છે. તેનું કારણ રસ. પાત્રનો અભ્યાસ કરો; ભરથરી હોય તો ભરથરી, જેસલ હોય તો જેસલ, માંગડો હોય તો માંગડો. રસનો વિષય હતો. ઘણાં કલાકારો એવું કહે છે કે આ પાઘડામાંથી, ગાડામાંથી, ડાંડીયામાંથી, ગોકીરામાંથી છોડાવોને હવે. પણ એમ કરીને કરે તો છે પણ રસ વગર કરે છે. સંપૂર્ણ રસ સાથે જો કરતા હોય તો એવા ઉપેન્દ્ર ત્રિવેદીની પ્રતિક્ષા છે ગુજરાતને અને રહેશે કાયમ. ફિલ્મ છોડી દીધાને ત્રીસ વર્ષ થયા તોય યાદ કરે છે. પત્રકારો, સાહિત્યકારો યાદ કરે છે. સૌ યાદ કરે છે તો કોને યાદ કરે છે? ઉપેન્દ્રએ તો કામ કરવું છોડી દીધું છે. એ કામને યાદ કરે છે. એ ‘જુનું જુનું જુરીએ….’ આનંદમય જીવન પસાર થાય છે અને આનંદમય છૂટી જવું છે.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
*****
તસવીર અને મુલાકાત – આનંદ ઠાકર.
વિશેષ તસવીર માટે ‘ અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી ‘ પુસ્તક, સંપાદક – રજનીકુમાર પંડ્યા અને બિરેન કોઠારી.
Interview with Gujarat Abhinay Samrat Upendra Trivedi
#Interview #UpendraTrivedi #Abhinay #Smrat #AbhnaySamrat #Gujarati #Gujarat # GujaratiFilm #GujaratiHero #GujaratiHiro #Film #Movie #GujaratiCinema #OldGujaratiFilm #Malavpati #Munj #Tanuja #VirMangadavalo #ManviniBhavai #GujaratiSahity #Sahitya #SnehLatta #GujaratiActor #GujaratiActress #GujaratiBook #CelebritySatheSamvad #AnandThakarBook