Maru Muktidham freedom childhood motherland lovely person
Maru Muktidham જવાબ : તમે છોડી ચૂક્યા હોય એવા કયા સ્થળનો હજુ પણ આપને લગાવ છે? શા માટે?
– આનંદ ઠાકર
ફેસ બુક પર મેં એક પ્રશ્ન કરેલો કે – તમે છોડી ચૂક્યા હોય એવા કયા સ્થળનો હજુ પણ આપને લગાવ છે? શા માટે? –
અહીં સૌએ પોતાના એવા સ્થળ વિશે વાત કરી કે જે સ્થળ સાથે એમને લગાવ હોય. કેટલાંક મિત્રોને માગ્યા અનુસાર કારણો સાથે જવાબ આપ્યો… કેટલાંક મિત્રોએ કારણ નહિ જ આપું કારણ મને ગમે છે એવું રાખ્યું …. 🤣😂😂
તમને ખબર છે આ પ્રશ્ન મને શા માટે ઉદ્ભવ્યો? જો એનો જવાબ આપને હમણાં જ મળી જશે.
તમારા જવાબો પરથી મારું તારણ…
તમારા સૌની કૉમેન્ટ પરથી એટલું સાબિત થાય છે કે ૧) જ્યાં બાળપણ વીત્યું હોય એ.
૨) જ્યાં સ્વતંત્રતા મળતી હોય એ.
૩) જ્યાં લાગણીવાળું વ્યક્તિ મળ્યું હોય એ.
આ ત્રણ ઘટના જ્યાં ઘટે એ સ્થળ સાથે તમને કાયમ માટે લગાવ થઈ જાય છે.
ઘણાં મિત્રોએ પૂછ્યું કે તમે તો તમારું કહો… તો ચાલો પહેલાં એ જવાબ…
હવે હું મારું જાણવું… તો… કોઈ જ સ્થળ હજુ મને એવું નથી મળ્યું જ્યાં મને લગાવ થયો હોય. પણ હા. હમણાં હમણાં પહેલી વખત એવું થાય છે કે આ દ્રોણ, દ્રોણનો રસ્તો, એની ડુંગરમાળ, એની રુક્ષતા, એની હરિયાળી… આ બધું પણ એક દિવસ હું છોડીશ અને ત્યારે ત્યાં મારો આત્મા રહી જશે…
ખબર નહિ કેમ પણ આજ સુધી કોઈ સ્થળ, સમય, વ્યક્તિ કે સ્થિતિનો લગાવ નથી રહ્યો. માણસ છું તો ક્યારેક કશો લગાવ થયો પણ હોય તો પણ એ લાંબો ટકતો નથી. એમ નહિ કે ચાલો આ સ્થળ મને જીવનભર યાદ રહેશે… ના. એવું જરાય નહિ. પણ….
વસાહત જાવ અને પાણીના ટાંકા બાજુનો રસ્તો એની પાછળની ટેકરીઓ જાણે મેં પૂરવ જનમમાં આ બધું છોડેલું હોય એવું લાગે…
આહ, શું વર્ણન કરું!….
ઝરફર ઝરફર થી લઈ ને ધોધમાર વરસાદને સ્પષ્ટ સાંભળી શકો. ઝીલી શકો. ટેકરીઓ અંઘોળ કરી રહી હોય એ દૃશ્યનું તો વર્ણન કેવી કલમે કરું? જ્યાં ખુદ ઈશ્વર લેખક બનીને, વરસાદની લેખણ લઇને હરિયાળી શાહી સાથે લખે તો જાણે અનેક અંકુરો ખીલી ઊઠે…
ધોમ તડકામાં અચળ સાધુ જેવી ટેકરીઓ આસન જમાવી અને બેઠી હોય એવું લાગે…. બધું સુકાઈ જાય ને લૂ વરસતી હોય ત્યારે જાણે અઘોર તપશ્ચર્યા કરતી પાર્વતીની જેમ દેખાઈ આવે!
Join us our Facebook Page: Sahaj Sahitya
પણ વરસાદ આવે ત્યારે તો અલગ જ ઉઠાવ, જરા પણ સ્થિતપ્રજ્ઞતા ખોયા વગર એ ટેકરીઓ વરસાદને ઝીલે! બે પથ્થરો વચ્ચેની લીલાશ આખી ગીરને જાણે તોરણ બાંધતા હોય એવું લાગે! હું કોઈ પાળો જોઈ અને બસ આ બધું એની જેમ જ અન્યમસ્ક થઈ જોયા જ કરું. વાદળો લળીલળીને એને અંઘોળ કરાવે. સ્હેજ નીચે તળાવ ભરાઈ જાય એટલે જળથી લથબથ સપાટી પર વરસાદ ત્રાટકે એ તમે ક્યાંય જોયું છે? જો જો. જળને જળ ઝીલે એ કેવડું મોટું ઉપનિષદ હોય છે એ તો એ જગ્યાએ ઊભા રહો ને બસ તમે ય સ્થિતપ્રજ્ઞ થઈ નિહાળ્યા કરો તો જાણે સમાધિ લાગી જાય!
બસ, શ્વાસ લઉં અને સંતૃપ્ત થઈ જાવ.
બસ, હવે મૂળ વાત કે મેં શા માટે આ પ્રશ્ન મૂક્યો…
બસ, એટલા માટે કે દરેકની લાગણીની એક નિયતિ હોય છે. મને થયું શું એ દરેકને મળી હશે?! એના માટે શું કારણભૂત હશે? ચાલો, પૂછીએ… એટલે મેં આપ સૌને પૂછેલું…
પણ, મને એ પણ ખબર છે કે એક દિવસ હું આ બધું પણ છોડી દઈશ કોઈ અકળ કારણોસર અથવા અહીં જ રહી જઈશ. પણ જ્યારે પણ રહીશ કે જઈશ કે આવીશ… ત્યારે આ રસ્તો, ટેકરી, ખેતર બધું મને ઓળખી લેશે એટલો લગાવ…
– આનંદ ઠાકર
Maru Muktidham freedom childhood motherland lovely person