Agriculture Seed Startup Krishi Vikas Gujarat
Contents
Agriculture કૃષિ બિયારણ ક્ષેત્રે સ્ટાર્ટ અપ શરૂ થાય તો ચિત્ર બદલાઈ શકે
લેખક – અજય મો. નાયક
( લેખક અમદાવાદનાવરિષ્ઠ પત્રકાર છે. તેઓ સંદેશ સમાચાર પત્રમાં એક્ઝિક્યુટિવ એડિટર છે. અમારી વિનંતીને માન આપી તેઓએ આ લેખ આપણા પોર્ટલના વાચકો માટે ઉપલબ્ધ કરાવી આપવા બદલ SAHAJ SAHITY PORTAL એમના આભારી છે. )
હમણાંથી હમણાંથી સ્ટાર્ટ અપની ઘણી વાતો ચાલે છે. ઘણાં યુવાન ઉદ્યોગ સાહસિકો અનેક નવાં ક્ષેત્રે આવી રહ્યાં છે. કેટલાંક સફળ થાય છે તો કેટલાંક નિષ્ફળ. દરેક સ્ટાર્ટ અપ સફળ થાય એ જરૂરી પણ નથી. પણ આજે વાત કરવી છે કૃષિ ક્ષેત્રની. આ ક્ષેત્રે હજી અન્ય ક્ષેત્ર જેવો ઉત્સાહ જોવા મળતો નથી.
બીજ અંગે બીજ વિજ્ઞાન અને ગુજરાતનો બિયારણ ઉદ્યોગ…
તાજેતરમાં વિખ્યાત કૃષિ વિજ્ઞાની ડૉ. ડી. બી. દેસાઈ, ડૉ. જે.એ.પટેલ તથા નરેન્દ્ર કે. પટેલ દ્વારા સંપાદિત સીડ – બીજ અંગે બીજ વિજ્ઞાન અને ગુજરાતનો બિયારણ ઉદ્યોગ એ વિષે એક પુસ્તક પ્રસિદ્ધ થયું છે. ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ, અમદાવાદ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. જોકે, તેમાં તમામ રીતનો મુખ્ય ફાળો તો ડૉ. ડી.બી. દેસાઈનો જ છે. તેમાં બીજ ક્ષેત્રની તમામ માહિતી છે.
આઝાદી પછી…
આઝાદી પછી ભારતની 35 કરોડની વસતિને પૂરતાં પ્રમાણમાં અનાજ મળે તે માટે પરદેશથી ખાદ્ય સામગ્રી આયાત કરવી પડતી હતી. પરંતુ વસતિ વધવાની સાથે અને જરૂરિયાતને ધ્યાનમાં લઈ શુધ્ધ બિયારણનો વ્યાપ વધતાં ભારતે કૃષિ ક્રાંતિ કરી જે ‘ હરિયાળી ક્રાંતિ ‘ માં પરિણમી. ત્યારબાદ મકાઈ, બાજરી, કપાસ, દિવેલાની સંકર જાતોએ ઉત્પાદકતા વધારવાની સાથે ભારત ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભર દેશ બન્યો.
કૃષિ ક્ષેત્ર પર ફોકસ કરવાની જરૂર…
આ પુસ્તકનો ઉલ્લેખ કરવાનું કારણ એટલું જ કે હાલમાં યુનિકોર્ન, સ્ટાર્ટ અપની બહુ વાતો થઈ રહી છે. જમીની સ્તરે કેટલાં સક્રિય છે અને કેટલાં સફળ થયા એની ચર્ચાઓ થતી નથી. એટલું જ નહીં, આ સ્ટાર્ટ અપમાં ધોકો પણ ઘેંટાંના ટોળાની જેમ જોડાય છે. દેખાદેખીથી. પણ ખરેખર કંઈ નક્કર કામ કરવું હોય તેને માટે આ પુસ્તક ઘણું ઉપયોગી છે. યુવાનો માત્ર ખાણીપીણીના જ સ્ટાર્ટ અપ કરે એ પણ ખોટું છે. ખાણીપીણીનો આધાર જેના પર છે એ કૃષિ ક્ષેત્ર પર ફોકસ કરવાની જરૂર છે.
કૃષિ શિક્ષણ ક્ષેત્રે…
આ પુસ્તકમાંથી પ્રેરણા લઈને જો કોઈ સ્ટાર્ટ અપ શરૂ કરે તો કૃષિ ક્ષેત્ર પર મોટો ઉપકાર હશે. આનાથી બે રીતે ફાયદો થાય એમ છે. બીજ ક્ષેત્રે કામ કરવા માંગતા લોકોને એક નવી તક મળશે અને આ ક્ષેત્રે જાણકાર માણસોની અછત છે એ થોડાંઘણાં અંશે સંતોષાશે. ગુજરાત વિદ્યાપીઠ કૃષિ બાબતમાં પાયાનું કામ કરે છે. આમ તો ગુજરાતમાં નવસારી, જૂનાગઢ, આણંદ, દાંતીવાડા ખાતે વર્ષોથી કૃષિ યુનિવર્સિટી ચાલે છે પણ તેમાંથી પાયાનું કામ કરનાર બહુ ઓછા છે. મોટાભાગના વેપાર – ધંધામાં પડી જાય છે. કૃષિ શિક્ષણ ક્ષેત્રે જે કામ થવું જોઇએ એ થતું નથી. એટલું જ નહીં આપણે ત્યાં એક એવી ગ્રંથી બંધાઈ ગઈ છે કે ગામડાંના લોકો જ કૃષિ ક્ષેત્રે જાય. શહેરના યુવાનો જાય છે ખરા પણ તેનો લાભ દેશના ખેડૂતોને નથી થતો. આ માટે પાયાનું કામ કરનાર જોઇએ. આ કારણથી જ ડૉ. દેસાઈએ લખેલાં પુસ્તકમાં બીજ ઉદ્યોગનો મહિમા ઉપરાંત કોઈપણ સ્નાતક કે ધો. 10-12 સુધી ભણનારો 6-12 મહિનાનો ટૂંકો અભ્યાસક્રમ ભણીને બિયારણ ક્ષેત્રે ઝંપલાવે તો તેને ચોક્કસ સફળતા મળે.
બીજનું ઉત્પાદન…
ગુજરાતની સ્થાપના 1960થી થઈ ત્યારથી આ ચારેય કૃષિ યુનિવર્સિટીમાં વિવિધ સંશોધનો ચાલે છે. 1972થી 2004 દરમિયાન રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પાકની કુલ 259 જાત વિકસાવાઈ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 84, જૂનાગઢ દ્વારા 76, નવસારી દ્વારા 96 અને દાંતીવાડા દ્વારા 39 જાતની વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. આથી ગુજરાતમાં બિયારણ ઉદ્યોગ ઘણો વિકસ્યો છે. રાજ્યમાં 500 જેટલી નાની મોટી બિયારણ કંપનીઓ તો 1000થી વધુ ઉત્પાદકો અને એક લાખથી વધુ ખેડૂત ઉત્પાદકો છે. આમ ગુજરાત આ ક્ષેત્રે અગ્રણી કહી શકાય. આ બધાં ભેગાં મળી દર વર્ષે મુખ્ય પાકોનું 30000 કિવન્ટલ જેટલાં પ્રમાણિત બિયારણનું વેચાણ કરે છે. આ બીજનું ઉત્પાદન લગભગ 5000 જેટલાં ઉત્પાદકો દ્વારા થાય છે.
બિયારણ ઉદ્યોગને નવયુવાનો કેવી રીતે પોતાનો વ્યવસાય બનાવી શકે ?
એકબાજુ ખેતીની જમીન ઘટી રહી છે તો બીજીબાજુ સિંચાઈ વ્યવસ્થા વધતાં પિયત વિસ્તાર બમણો થયો છે એ પણ હકીકત છે. આથી બીજની માગ પણ વધી રહી છે.
આટલી પૃષ્ઠભૂમિ પછી મુખ્ય વાત એ છે કે બિયારણ ઉદ્યોગને નવયુવાનો કેવી રીતે પોતાનો વ્યવસાય બનાવી શકે ? ભારત સરકારના જ એક અંદાજ મુજબ કૃષિ તથા શાકભાજી બિયારણની વાર્ષિક આવશ્યક્તા 15,820 ટનની છે. પરંતુ ઉપલબ્ધ માત્ર 8842 ટન છે. આટલો મોટો ગાળો કોઈ પણ વ્યવસાય માટે પૂરતો છે. કૃષિ યુનિવર્સિટીમાંથી ભણી રહ્યા પછી સરકાર અને તેના નિગમોમાં બીજ ઉત્પાદન અધિકારી, બીજ નિરીક્ષક, મદદનીશ બીજ અધિકારી, બીજ પરીક્ષણ અધિકારી, બીજ પ્રમાણન અધિકારી, ફાર્મ સુપરવાઇઝર, ખેતીવાડી અધિકારી, તાલીમ આયોજક- સહયોગી જેવી નોકરી મળી શકે છે તો ખાનગી ક્ષેત્રે ગુણવત્તા નિયંત્રણ અધિકારી, પ્રોડક્શન ડિરેક્ટર, ઉત્પાદન સંયોજક- સંચાલક- અધિકારી, ઝોનલ ઓફિસર, ક્ષેત્ર સહાયક વગેરે નોકરીની તક છે. આ ઉપરાંત માર્કેટિંગ ક્ષેત્રે પણ વિશાલ તકો છે.
સ્કીલનો જમાનો…
પણ આપણે વાત કરવી છે યુવા ઉદ્યોગ સાહસિક બનવાની. આજે સ્કીલનો જમાનો છે. કૌશલ્ય એ કોઈના બાપની પેઢી નથી. દરેક વ્યક્તિમાં એ થોડાઘણે અંશે હોય જ છે બસ તેને ચાર્જ કરવાની જરૂર છે.
બિયારણ ક્ષેત્રે સ્વરોજગારની વિપુલ તકો…
બિયારણ ક્ષેત્રે સ્વરોજગારની વિપુલ તકો છે. આ અંગેનો ડિપ્લોમા કોર્સ કર્યા પછી કે હવે તો ગુજરાત વિદ્યાપીઠને એક બિયારણ કંપની- નવભારત સીડ દ્વારા 51 લાખનું દાન આ ક્ષેત્રે 6-12 મહિનાના ટૂંકાગાળાના કોર્સ શરૂ કરવા અપાયું છે. આ કોર્સ કર્યા પછી સ્વરોજગાર માટે ઝુકાવી શકાય છે. એગ્રી ક્લિનિક, એગ્રી બિઝનેસ સેન્ટર સ્કીમ દ્રારા તેનો લાભ લઈ શકાય છે. વળી, આ ભારત સરકારનો જ ઉપક્રમ છે. બીજ પ્રક્રિયા એકમો, વ્યવસ્થાપન કેન્દ્ર, છોડ સંરક્ષણ સેવા કેન્દ્ર શરૂ કરી શકે છે. આ માટે 20 લાખ સુધીની લોન પણ મળે છે. સ્ટાર્ટ અપ માટે પણ હવે તો તાલીમ આપવામાં આવે છે. ગુજરાતી ભાષામાં પણ હવે તમામ અભ્યાસક્રમ શીખવાડાય છે. આથી શહેરી કે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ ફાયદો થઈ રહ્યો છે. આ પુસ્તક પણ ગુજરાતીમાં છે. જો કોઇ યુવા સાહસિક આ ક્ષેત્રે ઝુકાવશે અને બીજાને પણ પ્રેરણા આપશે તો આ પુસ્તક પ્રસિદ્ધ કરવાનો હેતુ બર આવશે.
Agriculture Seed Startup Krishi Vikas Gujarat
#Agriculture #Seed #Startup #Krishi #Vikas #Gujarat #Biyaran #બિયારણ #ખેતી #કૃષિ #બીજ_ઉત્પાદન
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Whatsapp Community Link…
https://chat.whatsapp.com/FUitRqnxfH0J8LmyYr15td
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube…
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ
SAHAJ SAHITY PORTAL નવું અપડેટ મેળવવા માટે નીચેની લિંક પર જોડાઓ…, તમે જોડાયેલા હોવ તો અન્ય વાંચનપ્રિય વ્યક્તિ સુધી પહોંચાડો….