Baba Saheb is the inspiration of modern Indian education
Contents
Baba Saheb: બાબા સાહેબ પ્રત્યે સન્માન જગાવવા બસ, આ એક જ બાબત પૂરતી છે : એમની એક એવી સિદ્ધિ જે આજ સુધી અજોડ છે…
આલેખન – જય પંડ્યા
જેમણે પણ રિચાર્ડ બાકની બુક ‘ સાગર પંખી ‘ વાંચી હશે એમને અંદાજ હશે કે અશક્ય સ્થિતિ માંથી માત્ર શક્ય નહિ પરંતુ શક્યતાઓની પાર જવાનું મનોબળ એટલે શું? જ્યારે જ્યારે મેં જોનાથ લિવિંગસ્ટનને યાદ કર્યા છે ત્યારે ત્યારે મને બાબા સાહેબ યાદ આવ્યા છે. એમના અનેક કાર્યો જે આપણને એમના વ્યક્તિત્વ પ્રત્યે નમન કરવા પ્રેરે. પરંતુ આજે એમના શિક્ષણ અને ડિગ્રી વિશે વાત કરવા જઈ રહ્યો છું ત્યારે મને કહેવા દો કે આઘુનિક ભારતીય શિક્ષણના પ્રેરણારૂપ વ્યક્તિ એટલે બાબા સાહેબ. – Baba Saheb is the inspiration of modern Indian education.
ભારતીય બંધારણના શિલ્પી એવા ડો .બાબા સાહેબ આંબેડકરના નામથી આપણે સૌ પરિચિત છીએ .તેમણે પોતાની બુદ્ધિ કુશાગ્રતા અને કોઠા સૂઝ દ્વારા વિશ્વના સૌથી મોટા બંધારણના ઘડતરમાં અને તેના લેખનમાં એક ઘડવૈયા અને લેખક તરીકે અતિ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ પ્રતિભા સંપન્ન વ્યક્તિ હતા.
તેઓ એક સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, તત્વચિંતક, વકીલ, કાયદાવિદ, નાગરિકશાસ્ત્રી વગેરે હતા.
ઉપરોક્ત બાબતો સિવાય એ કે ડો. આંબેડકર પાસે અગણિત ભારતીય અને વિદેશી ડિગ્રીઓ હતી .એક ડિગ્રી તો એવી છે કે જે માત્ર તેમની પાસે જ હતી .જે આજે પણ કોઈ ભારતીય પાસે પ્રાપ્ય નથી .( આ વિશે આગળ જણાવીશ ) હવે આપણે એ જાણીએ કે તેમની પાસે કઈ કઈ ડિગ્રીઓ હતી ?અને તે કઈ યુનિવર્સીટી સાથે સંકળાયેલ હતી.
કેવી છે બાબા સાહેબના શિક્ષણની સફર?…
તેમની પ્રારંભિક શિક્ષાની શરૂઆત મહારાષ્ટ્રના સતારા ગામમાંથી વર્ષ 1902 માં થઈ હતી.
– વર્ષ 1907 માં ડો .આંબેડકર એલીફિનસ્ટોન હાઈસ્કૂલ મુંબઈથી મેટ્રિક થયાં.
વર્ષ 1913 માં તેઓ એલીફિનસ્ટોન કોલેજ ( મુંબઈ યુનિવર્સીટી ) માંથી અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાન વિષયો સાથે B.A. થયાં.
વર્ષ 1915 માં વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડ પાસેથી ફેલોશિપ મેળવી તેઓ કોલંબિયા યુનિવર્સીટી ( અમેરિકા ) થી તેઓ M.A. થયાં.
તેમણે સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, ફિલોસોફી, રાજનીતિશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર વગેરે વિષયોમાં ડિગ્રી મેળવી હતી.
આ જ વર્ષે તેમણે પોતાનું સંશોધન “પ્રાચીન ભારતનું વાણિજ્ય” પણ લખ્યું હતું .
વર્ષ 1917 માં તેમણે કોલંબિયા યુનિવર્સીટી માંથી PH.D ની પદવી પ્રાપ્ત કરી .
ત્યારબાદ તેમણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં M.SC.,D.SC. અને LAW -ની ડિગ્રી માટે રજીસ્ટ્રેશન કર્યું .
તેમણે થોડો વખત વડોદરા દરબારમાં સૈનિક અધિકારી અને સલાહકાર તરીકે પણ ફરજ નિભાવી હતી .
ત્યારબાદ તેઓ લંડન અને જર્મની ગયા ત્યાં તેમણે…
LAW .- 13/9/1920
M.SC. – અર્થશાસ્ત્ર – 1921 ( વિષય – શ્રમિકોની પ્રાદેશિક સ્થિતિનું સંશોધન )
D.SC. – અર્થશાસ્ત્ર – 1923 ( વિષય – રૂપિયાની સમસ્યા અને ઉપાય તથા ભારતીય ચલણ અને બેન્કિંગ ઇતિહાસ )
વગેરે ડિગ્રીઓ પ્રાપ્ત કરી.
તા – 5 જૂન 1952 ના રોજ કોલંબિયા યુનિવર્સીટી દ્વારા તેમને L.L.D. ની માનદ પદવી દ્વારા બહુમાન આપવામાં આવ્યું હતું.
તા – 12 જાન્યુઆરી 1953 ના રોજ ઉસ્માનિયા યુનિવર્સીટી (હૈદરાબાદ) દ્વારા તેમને D.LIT. ની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બંને માનદ પદવીઓ તેમને ભારતીય બંધારણના સફળ ઘડતર, સંચાલન અને લેખન માટે આપવામાં આવી હતી.
એવી કઈ વિદેશી ડિગ્રી છે જે ડો. આંબેડકર સિવાય બીજા કોઈ ભારતીય પાસે ઉપલબ્ધ નથી ?
ડો .આંબેડકરે કોલંબિયા યુનિવર્સીટીમાંથી વર્ષ 1923 માં D.SC. ( DOCTER OF SCIENCE ) અર્થશાસ્ત્ર વિષયમાં પ્રાપ્ત કરી હતી. જે આજે વર્ષ 2023 માં આ 100 વર્ષના સમયગાળામાં બીજા કોઈ ભારતીય અર્થશાસ્ત્રી કે તત્વચિંતક મેળવી શક્યા નથી. આ એક વિક્રમ છે. રેકોર્ડ છે જે અકબંધ છે.
નોંધ – એવુ માનવામાં આવે છે કે ડો .આંબેડકર પાસે લગભગ 26 કરતા પણ વધારે ડિગ્રીઓ હતી .
ડો .ભીમરાવ આંબેડકરનો ભારતીય બંધારણ સમિતિમાં પ્રવેશ…
કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદામંત્રી બન્યા હતા.
બાબા સાહેબ આંબેડકરના એવા સુવાક્યો જે તમારા બેઠક ખંડ, કાર્યાલયની શોભા વધારે અને પ્રેરણા આપે…
“જ્યાં સુધી તમે સામાજિક સ્વતંત્રતા પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી કાયદો તમને ગમે તેટલી સ્વતંત્રતા આપે તે કંઈ કામની નથી.”
“ભાગ્ય પર વિશ્વાસ કરવા કરતા આપણે આપણી શક્તિ અને કર્મ પર વિશ્વાસ કરવો જોઈએ.”
“હું રાજનીતિમાં સુખ ભોગવવા માટે નહિ પરંતુ મારા દબાયેલા અને કચડાયેલા બધા જ ભાઇઓને તેમનો અધિકાર અપાવવા માટે આવ્યો છું.”
“હું એ ધર્મને પસંદ કરું છું જે સ્વતંત્રતા ,સમાનતા અને ભાઈ-ચારાની ભાવના શીખવતો હોય.”
“જે નમી શકે છે, તે નમાવી પણ શકે છે.”
“મનની સ્વતંત્રતા જ વાસ્તવિક સ્વતંત્રતા છે.”
“હું કોઈપણ સમુહદાયની પ્રગતિ તે સમુહદાયમાં થયેલી મહિલાઓની પ્રગતિને માનું છે.”
“બુદ્ધિનો વિકાસ માનવ અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.”
“જો મને લાગ્યું કે સંવિધાનનો દુરુપયોગ થઈ રહ્યો છે તો પહેલા હું જ તેને સળગાવી દઈશ.”
“જીવન લાબું નહિ પરંતુ મહાન હોવું જોઈએ.”
આમ ઉપરોક્ત ચર્ચા પરથી એટલું કહી શકાય કે બાબા સાહેબ આંબેડકર અભ્યાસમાં ખૂબ જ મેધાવી અને કુશાગ્ર બુદ્ધિ ચાતુર્ય ધરાવતા હતા. આમ ખરેખર તેઓ એક મહાન અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે .તેઓ ભારત રાષ્ટ્ર માટે વિરલ વિભૂતિ છે.
આલેખન – જય પંડ્યા
Baba Saheb is the inspiration of modern Indian education
#BabaSaheb #Ambedkar #inspiration #modernIndian #education
અમારી સાથે જોડાવા માટે…. 👇👇👇
Facebook page..
https://www.facebook.com/sahajsahity/
Instagram…
https://instagram.com/sahajsahity?igshid=ZDdkNTZiNTM=
YouTube
https://youtube.com/channel/UCR63B-voEm1lR52X6ZXGKIQ