Celebrity Sathe Smvaad Interview With Mohit Raina Actor Devon ke Dev Mahadev
સેલિબ્રિટી સાથે સંવાદ : મોહિત રૈઈના – ‘દેવો કે દેવ મહાદેવ’ સાથે ઇન્ટરવ્યુ…
ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર
મોહિત રૈઈના. ‘દેવો કે દેવ મહાદેવે‘ જેમને લોકોના હૈયામાં શિવજી તરીકે સ્થાન આપ્યું છે. ‘ચહેરા‘, ‘બંદિની‘ અને ‘ગંગા કી ધીજ‘ નામની ટીવી સિરિયલ પણ કરી છે. ‘અંતરિક્ષ‘ નામના સાયન્સફિક્શન ટીવી શૉથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ‘ડોન મુથ્થુ સ્વામી‘ નામની ફિલ્મમાં પણ તેણે કામ કર્યું છે. તેમનો જન્મ જમ્મુમાં થયો હતો. હાલ તો તે મુંબઈ રહે છે.
14 ઓગસ્ટ 1982ના રોજ તેમનો જન્મ થયો છે.
તેનો ઘેઘુર અને થોડો બેફિકરી અવાજ કાનમાં અથડાય છે. પ્રશ્નોની સાથે તેના જવાબો આવતા જાય છે અને શિવજી જેવું બેફિકરાપણું છતું થતું જાય છે. આવા શિવજીના કિરદાર બખૂબી નિભાવનાર ‘દેવો કે દેવ મહાદેવ’ સિરયલથી લોકોના દિલમાં મહાદેવ – શિવજીની જગ્યા લઈ લીધી છે, તેવા મોહિત રૈઈનાને આપણે મળીએ…..
આપની જિંદગીમાં એવી કોઈ ઘટના ઘટી છે કે આપને લાગ્યું હોય કે ઈશ્વર મારી સાથે હતા?
જી હા. મને યાદ છે, હું પૂના જઈ રહ્યો હતો. ઘણાં વર્ષો પહેલાની વાત છે. મારી ગાડીની બ્રેક ડાઉન થઈ ગઈ, તેની બેટરી ખરાબ થઈ ગઈ હતી. એવામાં જ ત્યાં એક ટેક્સીવાળો પસાર થયો. મેં તેને રોક્યો અને હું તેમાં બસ બેસવા જતો હતો પણ ફરી મારી ગાડી પાસે ગયો જોવા કે કશું રહી તો નથી ગયુંને એવામાં તે ટેક્સીવાળાને બીજા લોકો મળી ગયા અને તેને ઉતાવળ હતી તે ચાલ્યો ગયો. મને અફસોસ થયો. મેં ત્યાર પછીને ટેક્સિ લીધી, મેં આગળ જઈને જોયું તો એ જે ટેક્સી મારાથી છૂટી ગઈ હતી, તેનું એક્સિડેન્ટ થઈ ગયું હતું અને તેમાં બેસેલા બધાં જ પેસેન્જર પ્રભુને પ્યારા થઈ ગયાં હતાં. ત્યારે મને લાગ્યું કે કોઈ શક્તિનો હાથ હશે, નહીં તો હું ક્યાં હોત!
આજે આપ જ્યાં છો તે શું એ સ્વપ્ન કે વિચાર હતો?
હા. ચોક્કસ. મારું બાળપણથી જ એક સ્વપ્ન હતું કે આ ઈન્ડસ્ટ્રિસનો એક ભાગ બનું. એ રીતે લોકોએ મારી સાથે વ્યવહાર કર્યો કે પછી મને પ્રેમ આપ્યો તે તેનું જ પરિણામ છે. મને સ્વીકાર્યો, તે સ્વપ્ન જ હકીકતમાં બદલી રહ્યું છે.
આપના જીવનમાં ધર્મની કોઈ ભૂમિકા છે? છે તો કઈ રીતે?
ચોક્કસ છે. હું માનું છું કે આપણે ધર્મની સાથે કર્મ પર વધારે ભાર આપવો જોઈએ. સારા કર્મ કર્યા હશે તો આજે નહીં તો કાલે પણ તેનું ફળ ચોક્કસ મળશે. જેનો જે ધર્મ છે તેનું તો ચોક્કસ પાલન કરવું જ જોઈએ. પર્સનલી હું કર્મમાં જ વિશ્વાસ કરું છું.
આપના માટે જિંદગીમાં ખુશ રહેવા માટે કયો મંત્ર રહ્યો છે?
ખુશ રહેવા માટે આગળ વધતા રહો. નાની-નાની વાતનો પણ આનંદ રાખો. મોટી ચીજો તો સમય આવ્યે મળી જ જશે, પણ નાની-નાની વાતોથી જ જિંદગી બને છે. ઘણીવાર મોટી ચીજને મેળવવાના ઘમાસાણમાં આપણે નાની-નાની ખુશી ગુમાવી દઈએ છીએ તો તેનો પણ ખુશીથી લાભ લેવો જોઈએ. હું આ બન્નેમાં બેલેન્સ કરું છું તેથી ખુશ રહું છું.
આપના માટે સુખ શું છે? ભૌતિક કે માનસિક?
માનસિક હોવું જોઈએ. આપણને જીવનમાં શું જોઈએ છે તે આપણી માનસિકતા પર નિર્ભર કરે છે. ભૌતિક અને માનસિક સુખનું બેલેન્સ અને તાલમેલ હોવો ખૂબ જરૂરી છે. લોકોએ પોતાની જરૂરિયાતને પૂરી કરવી જોઈએ અને સુખી રહેવું જોઈએ. માનસિક રીતે ઉતાર-ચઢાવ જિંદગીનો પાઠ હોય છે. જે સારું કે ખરાબ હશે તે પણ ચાલ્યું જશે.
તમે ‘મહાકાળ’ની ભૂમિકા ભજવી રહ્યા છો તો આપને મૃત્યુનો ડર લાગે છે?
જિંદગીનો આરંભ થયો છે તો અંત તો થશે જ. તે ક્યારે થશે તે કોને ખબર, ડરતો નથી. બસ ઈશ્વરે જેટલો સમય આપ્યો છે તે જીવો અને ખુશ રહો.
પુનર્જન્મ જેવું કશું હોય અને આપને પસંદગી આપવામાં આવે તો બીજો જન્મ તમે કયો લેવા ઈચ્છો?
આપે પૂનર્જન્મની વાત કરી છે પણ એ તો આ જન્મના કર્મો પર નિર્ભર છે. તો આ સમયે કર્મ સારા કરીશ તે પ્રમાણે જન્મ આપશે. આ વાતમાં એટલુ વિચાર્યું નથી, પણ તક મળે તો હું ડોક્ટર બનવા ઈચ્છીશ કારણ કે તેનાથી હું લોકોનો ઈલાજ કરીને તેને સ્વસ્થ કરી શકીશ.
ધર્મ અને અધ્યાત્મમાં કઈ રીતે તફાવત જુઓ છો?
આ તો બન્ને અલગ અલગ મુદા અને ઘણાં અંગત હોય છે. મને પૂછો તો જે ધર્મમાં આપણે પેદા થયા છે તેનું પાલન કરવું પણ જરૂરી છે. તે ધર્મને ફોલો કરવો પણ જરૂરી હોય છે. અને જ્યાં અધ્યાત્મની વાત છે તે સૌની અંગત ફિલિંગ હોય છે. હું કર્મમાં વિશ્વાસ કરું છું. આપની આસપાસના લોકોનું ભલું કરી શકો તે બેટર છે.
આપની સફળતાનું શ્રેય કોને આપવા ઈચ્છશો?
ઉપરવાળાને, કે જેણે મને આ માટે પસંદ કર્યો. પર્સનલી તેમને જ શ્રેય આપવા ઈચ્છીશ અને મારા કામને જેણે વખાણ્યું તેમનો પણ આભાર માનીશ.
સ્ત્રી અને પુરુષની એક સારી અને એક ખરાબ બાબાત આપને શું જોવા મળી છે?
મારી નજરમાં આજે સ્ત્રી અને પુરુષ બન્ને સમાન છે અને બન્ને એ સાથે પગલા ભરવા જોઈએ. પુરુષે નારીની ઈજ્જત કરવી જોઈએ. એ રીતે નારીએ પણ પુરુષનું સન્માન કરવું જોઈએ.
ઇન્ટરવ્યુ – આનંદ ઠાકર