Home SAHAJ SAHITYA Book Review આપણા રિવાજોમાં વિજ્ઞાન: ‘રિવાજોમાં આવું શા માટે?’ ના જવાબ આપતું...

Book Review આપણા રિવાજોમાં વિજ્ઞાન: ‘રિવાજોમાં આવું શા માટે?’ ના જવાબ આપતું પુસ્તક…

2

Book Review aapna Rivajo ma Vigyan by Nitin Oza tradition and Science…

Book Review આપણા રિવાજોમાં વિજ્ઞાન: ‘રિવાજોમાં આવું શા માટે?’ ના જવાબ આપતું પુસ્તક…

પુસ્તક પરિચય આલેખન : કૌસ્તુભ રામ 

પુસ્તકના લેખક : નીતિન ઓઝા

Book Review aapna Rivajo ma Vigyan tradition and Science…

શાળાએથી છૂટેલો મસ્તીખોર મેની દરરોજની જેમ ઘરે પહોંચીને દફતર એક ખૂણામાં ફેંકી પાદરે પહોંચી ગયો. ઓસરીમાં ખાટલો નાખીને બેસેલા બા ધીમેથી બણબણ્યા, “આ છોકરાઓને તો કંઈ ભાન છે કે નહિ! દૃષ્ટિને ના પાડવા છતાં એ ઉંબરા ઉપર ચડીને બેસી રહે છે આખો દિવસ ને અધૂરામાં પૂરું આપડો રાજકુમાર મેની, મા સરસ્વતીની તો કોઈ કદર જ નથી.”

ઉંબરા પર બેસેલી દૃષ્ટિ માટે બા ના આ શબ્દો દરરોજનું એલાર્મ બની ગયેલા અને તેના ફૂલકુમળ મગજને બા ની આ બધી વાતો ‘ડોશીશાસ્ત્રની’ કક્ષામાં મૂકતા જરાય વાર પણ ના લાગી. લાગે પણ કેમ નહિ, આધુનિકતાના રંગને રગેરગમાં ઉતારી ચૂકેલી તેણી આવી વાતો તે કંઈ માને ખરી? પ્રશ્ન જ નથી.

 

નહિ !! પ્રશ્ન છે. શા માટે આપણા વડીલો વાતવાતમાં રોક ટોક કરે છે? શા માટે લાભ શુભ, વ્યાધિ ચોઘડિયા ઈત્યાદિથી તેઓનું જીવન ભરપૂર છે? શા માટે કોઈ ચોક્કસ પશુ કે પક્ષીને જોઈને તેઓ પોતાની દિનચર્યા બદલી નાખે છે? શા માટે?

આ ‘શા માટે’ ના જવાબ શોધવા મે આખું ઈન્ટરનેટ ફંફોળી નાખ્યું, દસ સજ્જન દેખાતા લોકોને પૂછ્યું અને કેટલાય દા’ડાના અથાગ પરિશ્રમ પછી પણ પરિણામના નામે નિષ્ફળતા હાથ લાગી. બસ, પછી તો શું મે પણ બધાની જેમ રિવાજોને સ્વીકારીને મન મનાવી લીધું.

“જ્યારે તમે કંઈ ઈચ્છો છો, ત્યારે સમગ્ર બ્રહ્માંડ તમને તે પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે કાવતરું કરે છે.” જાણે પોલો કોએલો ની આ વાત સાચી પડતી હોય એમ એક દિવસ મારા પપ્પાના રૂમમાંથી મારા હાથમાં આવ્યું એક સુંદર મજાનું પુસ્તક. દેખાવમાં નાનકડું એવું માત્ર સો પાનાંનુ પુસ્તક પણ કોણ જાણે એ સો પાના મારા સો થીયે વધારે પપ્રશ્નોને ઉકેલી દેવાના હતા.

Book Review aapna Rivajo ma Vigyan tradition and Science…

પુસ્તકનું નામ પણ ખૂબ જ સરળ – ‘ આપણા રિવાજોમાં વિજ્ઞાન ’

The truth changes with time. પ્રસ્તાવનામાં લખેલું આ વાક્ય જાણે પુસ્તકના દરેક શબ્દે ચરિતાર્થ થઈ રહે છે. પુસ્તકનો પરિચય લઈએ એ પહેલાં ‘રિવાજ’ એટલે શું તેના વિશે આછી પાતળી જાણકારી મેળવી લઈએ.

રિવાજ કે પરંપરા; ધર્મને કેન્દ્રમાં રાખીને બનાવેલા કેટલાંક નિયમો, જે દરેક પંથના જુદા જુદા હોઈ શકે પરંતુ ધાર્મિક મનોભાવના ધરાવતા દરેક માનવો તેનું પાલન કરવાના પ્રયત્નો કરતા હોય છે. ભારતની સમૃદ્ધ સંસ્કૃતિએ આવનારી પેઢીને ઘણાં રિવાજો વારસામાં આપ્યા છે, જેનું પેઢી દર પેઢી વહન થાય છે.

દરેક સમાજમાં ઘણાં નવા જૂના રિવાજો જોવા મળે છે. લેખકે આ પુસ્તકમાં એમાંના ચાલીસેક જેટલા રિવાજોનું સંકલન કરેલું છે. દરેક રિવાજને એક અલગ પ્રકરણમાં વિભાજિત કરેલ છે. શરૂઆતમાં સુંદરમજાના કિસ્સાથી ચાલું થતું દરેક પ્રકરણ રિવાજોને વિજ્ઞાન સાથે એ રીતે જોડે છે જાણે માળાના મણકા એક પછી એક સુબદ્ધ રીતે જોડાય. આ જ કારણ છે વાચકનો રસ અને જુસ્સો બંને અંતિમ પાના સુધી જળવાઈ રહે છે.

ઉપરાંત લેખકની કોઈ પણ વસ્તુને અત્યંત સરળ ભાષામાં પ્રસ્તુત કરવાની શક્તિ આ પુસ્તકને એકદમ અલગ અનુઠું બનાવે છે. આ આદત પરથી લેખક એક શિક્ષક પણ છે એ દરેક વાક્યમાં અનુભવી શકાય છે. મારી જેવા ઇતિહાસ અને ઐતિહાસિક વાતોમાં રસ ધરાવતા વાચકોએ આ પુસ્તક અચૂક વાચવું ઘટે.

નાનપણમાં પાવામાં આવતી ગળથૂથીથી લઈને અંતિમ સ્મશાનયાત્રા સુધીના રિવાજોનું સંકલન સરસ રીતે થયેલું છે. મહત્વની વાત તો એ છે કે આ પુસ્તકના વાંચનથી તમે જાણો છો કે તમારી ધરોહર કેટલી સમૃદ્ધ હતી! આપણા પૂર્વજોના વિચારો કેટલા બધા વિસ્તરેલા હતા. વળી, રોજબરોજના પ્રશ્નોનાં જવાબ કોઈ સામાન્ય વ્યક્તિને પૂછીએ તો વળી એ આપણને ગાંડા ગણે. ત્યારે આ પુસ્તક મુકતમને તમારા રિવાજોને લગતા દરેક પ્રશ્નનો જવાબ આપવાનો પ્રયત્ન કરે છે. ખૂબ જ સરળ ભાષામાં વાચકની રસ રુચિ જાળવીને તૈયાર કરવામાં આવેલું આ પુસ્તક તમને ગૂગલ કે યુટયુબ પર પણ નહિ મળે તેવી માહિતી હસતા રમતા આપી જશે.

અત્યારના ઓનલાઇન જમાનામાં જ્યારે દરેક માણસ એક લંબચોરસ દુનિયામાં ખોવાયેલો છે ત્યારે આવા સુંદર પુસ્તકોનું વાંચન તમને બાર બાય સાતની સાંકડી દુનિયામાંથી અનંત જગવિસ્તરમાં મ્હાલવાનો મોકો જરૂર આપશે. સાથે સાથે અમૂક એવા પ્રશ્નો પણ આપતું જશે જેના જવાબ તમને બીજા પુસ્તકોના વાંચનથી જ મળશે એ પાકું છે.

પુસ્તકના લેખક શ્રી નીતિનસાહેબ વિશે લખીએ એટલું ઓછું પડે. અંગ્રેજી શબ્દ ‘Gentleman’ તેઓના કાર્ય અને વ્યક્તિત્વને સુપેરે છાજે છે. લેખકની એક શિક્ષક તરીકે કે એક માર્ગદર્શક તરીકેની કારકિર્દી ખૂબ જ સફળ રહી છે. આ પુસ્તકમાં લેખકે જે શબ્દો, ભાતીગળ જીવનની વાતો અને રોજબરોજના વિજ્ઞાનનો ત્રિવેણી સંગમ કર્યો છે તેનો અનુભવ મનને ‘બાગ બાગ’ થયાની લાગણી આપે છે.

 

પુસ્તકનું રંગીન મુખપૃષ્ઠ, રંગબેરંગી વાતો અને વિજ્ઞાનના વિચારો તમને આ પુસ્તકને પોતાની જાતથી અળગું નહિ થવા દે. વળી, લેખક દ્વારા કરાયેલો આ પ્રકલ્પ પણ આવકારદાયક છે. અત્યારની ‘નવીન’ પેઢીને આપણી સંસ્કૃતિ આપણે નહિ શીખવીશું તો કોઈ એલિયન આવીને શીખવશે?

વાંચો, વિચારો, વધતા રહો.

જય હિન્દ.

Book Review aapna Rivajo ma Vigyan tradition and Science…

error: Content is protected !!
Exit mobile version