Home ANAND THAKAR'S WORD Celebrity Sathe Smvaad Interview With Asha Parekh 

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh 

0

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

Rare interview : સેલિબ્રિટી સાથે સંવાદ : આશા પારેખ….

જેમને હમણાં સર્વશ્રેષ્ઠ ‘ દાદા સાહેબ ફાળકે ‘ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા એવા આશા પારેખ સાથે કરેલી કેટલીક વાતો….

કટી પતંગ‘, ‘તીસરી મંઝિલ‘, ‘આયા સાવન ઝૂમકે‘, ‘આયે દિન બહાર કે‘, ‘આન મિલો સજના‘, ‘લવ ઈન ટોકિયો‘, ‘દો બદન‘….હા. બસ તરત તમને યાદ આવવા લાગશે તે બધામાં હિરોઈનની ભૂમિકા કોણે કરી…આશા પારેખ.

રાત કા શમા ઝૂમે ચંદ્રમાં મન મેરા નાચે રે જૈસે બીજુરિયા…’ ગીત એક દિવસ મેં ટી.વી.માં જોયેલું અને તેમાં આશાજીનો ડાન્સ, ખરેખર જાણે આભની અટારીએથી રમતી કોઈ અપ્સરાને ઈન્દ્રદેવે કોપાઈમાન થઈને ધરતી પર મોકલી હોય અને તે પોતાના કોઈ ગાંધર્વને યાદ કરીને નાચતી હોય તેવું નૃત્ય હતું! ત્યારે અચાનક મનમાં સ્ફૂરણ થયું કે જો મને કોઈ દિવસ મળવાનું થાય તો હું તેને તેની અંતરની આસ્થા ઉપર પ્રશ્નો પૂછું….

ઈશ્વર ક્યાં કેવી રીતે કેવા વિચારોને રમતો કરતો હોય છે તે તે જાણે પણ અમદાવાદ દિવ્યભાસ્કર .કૉમમાં કાર્યરત હતો ત્યારે અમદાવાદ દુરદર્શન માટે આશાજી એવોર્ડ ફંકશન અટેન્ડ કરવા આવેલા. મને મન થયું કે હવે તેનો ઈન્ટરવ્યું થવો જોઈએ. તેનો સંપર્ક કર્યો અને આખરે એ શક્ય બન્યું. મજા તો એ વાતની આવી કે તેની સાથે સીધી ગુજરાતીમાં જ વાત કરવાની હતી. કોઈ વ્યક્તિને તમે સતત બીજી ભાષા બોલતા જોયા હોય અને તે તમારી જ ભાષામાં બોલે ત્યારે તેનો આનંદ અનેરો હોય!

તેની સાથેની વાતચીત પર તમને લઈ જતાં પહેલા તમને જણાવી દઉં કે તે અમરેલીના ડુંગર ગામના રહેવાસી છે. એ રીતે તે પૂરાં ગુજરાતી અને તેના રહેવામાં અને બોલવામાં પણ ગરવી ગુજરાતણ નો લહેજો અને મરતબો ઝલકતો જોવા મળે. 

આશા પારેખ એક ગુરુર છે. સન્માન છે. તેના ચહેરા પરથી એક ગર્વ નીતરે છે, એટલી જ તેની અદા નખરાળી પણ રહી છે. આજે પોતાનું એક વિશ્વ બનાવીને બેસેલી આ એક્ટ્રેસે પોતાની આ ઉમરમાં છેલ્લે ગુજરાતી સિરિયલ પણ પ્રોડ્યુસ કરી હતી. હાલમાં તો તે પોતે અતિતનો આનંદ વાસ્તવમાં લઈ રહ્યા હોય તેમ ઘરે યોગા, ઈશ્વર પૂજા અને તેમની સહેલીઓ સાથે સમય પસાર કરી રહ્યા છે.

આશા પારેખ. મીનાકારી જેવી આંખોના આઈબ્રોની સ્ટાઈલ અને માથા પર વિચિત્ર અંબોડો આપનાર વિતેલા જમાનાની એક જાજરમાન અભિનેત્રી. એકવાર ઝાંઝર પહેરીને સ્ટેજ પર ઉતરે તો જાણે વીજળી ઝમકે અને એ સમયના ઘણાં યુવાનોના દિલમાં કટાર લાગી જતી હતી. તો ચાલો જાણીએ કે આજે આ હિરોઈન જીવન, મૃત્યુ, ધર્મ, સુખી રહેવાના મંત્ર વગેરે વિશે શું અને કેવી વાતો કરે છે.

આપના જીવન સાથે સંકળાયેલી એવી ઘટના જેમાં કુદરતી શક્તિનો અહેસાસ થયો હોય?

હા. એ તો ઘણીવાર થાય જ્યારે પણ નવું કામ કરતી હોય ત્યારે થાય.  જ્યારે સફળતા મળે ત્યારે એવું લાગે કે કોઈ એવી ઉપરની શક્તિ છે કે એ આપણને આગળ વધારે છે. જ્યારે હું સ્ટેજ પર જતી ત્યારે મને થતું કે કોણ જાણે કેવી રીતે શૉ થશે અને પછી, એકવાર હું સ્ટેજ પર ચાલી જતી તે પછી ભગવાનની જે શક્તિ હતી તે મારામાં અનુભવાતી હતી.

 

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

આજે તમે જ્યાં છો શું આ પહેલા તમારું સ્વપ્ન કે વિચાર હતો અહીં સુધી પહોંચવાનો ?

ના. એવા કોઈ સપના હતા જ નહીં. આપણે તો આઈ.એ.એસ. ઓફિસર  બનીને દેશની સેવા કરવી હતી. અને સપના બદલાઈ ગયા.

આપના જીવનમાં ધર્મની ભૂમિકા હોય છે? છે તો કઈ રીતે?

બધા પોતપોતાનો ધર્મ પાળે છે અને આખરે ધર્મ તો બધાનો એક જ હોય છે ને! ભગવાન પણ એક જ છે ને? જે રીતે હુ મારા ભગવાનની પ્રાર્થના કરું છું તો તે મારા માટે ધર્મ જ છે. મારે તેનો આભાર માનવા પ્રાર્થના કરવી જોઈએ તો હું પ્રાર્થના કરું છું.

જીવનમાં ખુશ રહેવાનો આપનો કયો મંત્ર રહ્યો છે?

ભગવાન જેમ જિંદગી આપે છે તેમાં ખુશ રહેવું જોઈએ. કહેવાયું છે ને કે તમે ખુશ રહેશો તો જગત તમારી સાથે હસશે અને તમે દુઃખી થશો તો એકલા રડશો. આપણે દુઃખી થઈને આપણે જ દુઃખી થવાનું છે.
તમારા માટે સુખ એટલે શું? ભૌતિક કે માનસિક?

સેલ્ફસેટિસ્ફેક્શન (આત્મસંતોષ) હોવો જોઈએ, બીજું કંઈ નહીં. પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ.

શું આપને મૃત્યુનો ડર લાગે છે?

ના. પહેલા લાગતો હતો, હવે નથી લાગતો. હવે થાય છે કે એકવાર તો બધાને જવાનું છે, એમાં ડરવાનું શું? ના. હવે નથી ડર લાગતો.

આપના મતે પુનર્જન્મ જેવું કંઈ હોય અને આપને પસંદગી કરવાની હોય તો તમે શું બનવા ઈચ્છો?

એ આપણા હાથમાં તો નથી હોતું, છતાં પણ જો મને પૂછવામાં આવે તો હું કહીશ કે ફરીથી આશા પારેખ જ બનાવજો અને આવા સુંદર મા-બાપ આપજો.

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

ધર્મ અને આધ્યાત્મને આપ કઈ રીતે જોડશો?

ધર્મ અને અધ્યાત્મ વચ્ચે વધારે અંતર નથી. ધર્મ તમે પાળો છો તેમાં અધ્યાત્મ તો હોવાનું જ.

 

આપની સફળતાનું શ્રેય તમે કોને દેવા ઈચ્છો?

ભગવાનને.

સ્ત્રી અને પુરુષમાં આપને શું મર્યાદા દેખાઈ કે શું સારી બાબત જણાઈ?

એક બીજાને સમજવાની સમજણ હોવી જોઈએ.

Celebrity Sathe Smvaad Interview With Asha Parekh

 

#CelebritySatheSmvaad #Interview With #AshaParekh

error: Content is protected !!
Exit mobile version