Home SAHAJ SAHITYA એમણે જ્યારે નેસડામાં રહેતી જ્ઞાતિ ને દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરી….

એમણે જ્યારે નેસડામાં રહેતી જ્ઞાતિ ને દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરી….

0

એમણે જ્યારે નેસડામાં રહેતી જ્ઞાતિ ને દીકરીઓના શિક્ષણ માટે પહેલ કરી….

આલેખન – હર્ષદ ગઢવી

આપણો સમગ્ર ભારતદેશ કરૂણાનો દેશ છે. અધ્યાત્મિકતા અને ધાર્મિકતાથી ભરપૂર છે. એમાંય વળી ભારત દેશમાં આવે આપણું ગુજરાત અને એમાં પણ આપણો સોરઠ પ્રદેશ સંતો, શુરવીરો, મહાપુરુષો, યોગીઓ, સિદ્ધોની ભૂમિ ગણાય છે.

સૌરાષ્ટ્રમાં અનેક જ્ઞાતિઓ – જાતિઓમાં સંતો અને શુરવીરો થયા છે. ભક્તો થયા છે. પણ જ્યાં ખુદ અખિલ બ્રહ્માંડનું સંચાલન કરનારી જગદંબા અવતરે, જેના આંગણાંમાં ખુદ મા જગદંબાને પગલા પાડવાનું મન થયા એવી દેવ જ્ઞાતિ એટલે ચારણ (ગઢવી) જ્ઞાતિ. આ ચારણ જ્ઞાતિમાં અનેક જગદંબાઓ અવતરી છે. જે અઢારેય વરણની કુળદેવીઓ થઈને પુજાય છે.

આ ચારણ જ્ઞાતિમાં સાહિત્યમાં નવલાખ માતાજીઓએ જન્મ લીધો છે તેમાં આઈ નાગબાઈ હોય, ખોડિયાર હોય, બહુચર હોય, આવડ હોય, વરૂડી હોય, કે પછી ઓખા વાળી મોગલ હોય. આ જ્ઞાતિ પર પરમેશ્વરીનો વિશેષ ભાવ રહ્યો છે. એવી એક જગદંબા આઈ સોનલ નામે, આ જ્ઞાતિમાં કેશોદ પાસેના મઢડા ગામમાં થયા.

સોનલ આઈનો પ્રાથમિક પરિચય –

આઈમાનો જન્મ સંવત 1980 પોષ સુદ 2 એટલે કે 8 ડિસેમ્બર 1924 ને મંગળવારે રાતે 8.30 વાગે થયો હતો. મઢડા ગામમાં હમીર મોડ (ગઢવી) ને ઘરે આઈશ્રી  રાણબાઈમાંની કૂખેથી આઈ સોનબાઈ અવતર્યા.

આંખોમાં અપાર તેજ –

માતાજીની ઉમર જેમજેમ વધતી ગઈ તેમ તેમની આંખોમાં અપાર તેજ અને સ્ફૂર્તિની સમાજમાં નોંધ લેવાઈ. નાની ઉમર આદ્ભૂત જ્ઞાનની વાતો અને અજોડ કાર્યો કરવાની માવજત તેમનામાં હતી જેના કારણે લોકો તેમને કોઈ દૈવીય શક્તિનો અવતાર છે તેવું માનતા થયા.

સોનલ આઈની સમાજ સેવા –

નાની વયમાં જ રામાયણ – ગીતાના પાઠ કરવા અને ગીતા પર પ્રવચનો કરવા એ કોઈ નાનીસુની વાત નથી. કહેવાય છે કે ચારણ ક્યારેય ખોટું ન બોલે તેમ માતાજી સોનબાઈને પણ અસત્ય પસંદ નહોતું. નાની ઉમરથી જ ફક્ત પુરૂષાર્થ અને શિક્ષણમાં માનતા. ખાસકરીને દિકરીઓને ભણાવવાના હિમાયતી  હતા. નેસડામાં રહેતી ચારણ જ્ઞાતિને દુનિયા સાથે ભેળવવાનું કામ આઈ સોનબાઈએ કર્યું. તમામ વરણોમાં દિકરીઓને ભણાવવા માટે એમણે ગુજરાતમાં ગામેગામ પ્રવાસ કરેલા. આમ આઈ સોનલે અનેક સમાજોને પરચાઓ પણ આપ્યા છે.

ફક્ત ચારણ નહીં પરંતુ વિવિધ સમાજો માટે માતાજીએ ઉત્તમ કાર્યો કર્યાં છે. આજે વિવિધ સમાજોમાં માના સેવકો છે. દેશ-વિદેશમાં પણ માતાજીના ભક્તો છે. મઢડાથી માતાજીએ કેશોદ પાસે આવેલ કરેણી ગામને પોતાની કર્મભૂમિ બનાવી હતી. ત્યાં જ નિવાસ કરીને સમાજ ઉદ્ધારનું કાર્ય કરેલું. શાળામાં વધારે શિક્ષણ ન લઈ શકવા છતાં શિક્ષિત અને શિક્ષણની મહત્તા જાણતા અને જણાવતા. માતાજીએ અક વખત સંસ્કૃત ભાષામાં પ્રવચનો આપેલ.

યાત્રાઓ અને કલાકારો –

દેશભરમાં પણ પરિભ્રમણ કર્યું. ખાસ કરીને હરિદ્વાર, કાશી, મથુરા જેવા સ્થળોએ પણ સત્સંગ કર્યાં. તેઓ ખુદ ચારણી સાહિત્યના પ્રખર જ્ઞાતા હતા અને મધુર કંઠે ગાઈ શકતા હતા. વાણી ઉપર પાની પકડ અને આચરણ પર એટલો સંયમ હતો કે લોકો જોતા જ રહી જતા. માતાજીએ નાનપણમાં પાણીની હેલ વગર અડક્યે કોઈ પ્રસંગે ઊંચી કરી હતી તેમ નજરે જોનારા વડીલો કહે છે. એ માતાજીએ આપેલ પ્રથમ પરચો હતો. પોતે શક્તિ સ્વરૂપા હોવા છતાં તેઓ અન્ય દેવી-દેવતાઓની સ્તુતિ કરતા હતા. હંમેશા લોક કલ્યાણના કાર્યમાં રોકાયેલા રહેતા. કરેણીમાં બધા સામાજના કવિઓ, વિદ્વાનો, વિચારકો સાથે આઈમા વિચાર વિમર્શ કરતા. તેમાં કવિ દુલા કાગ, મેરૂભા ગઢવી, પન્નાલાલા પટેલ, ઝવેરચંદ મેઘાણી વગેરે માતાજીને મળતા. આમ, આઈ સોનલ બાઈએ જ્ઞાન, કેળવણી, કરૂણા, એકતા વગેરેની જ્યોત જલાવીને સમાજને મોટી પ્રેરણા આપી હતી અને નિર્મળ સેવા કરી હતી.

માતાજીનું સ્વધામ ગમન –

કહેવાય છે કે આ લોકમાં જેની જરૂર હોય એની પરમાત્માને પરલોકમાં પણ જરૂર હોય તેમ સ્વયં પ્રગટેલી પરાશક્તિની અંશ પરમજ્યોત પરામ્બાના સમાય જવા પ્રમાણો આપવા માંડી. મહાનિર્વાણ નજીક આવતા કવિ કાગને કહેલું કે હવે મારે નિજધામમાં જવું જોશે. આટલી વાતને ત્રણ-ચાર મહિના થયા અને માતાજીએ માંદગીને મુંગો આવકાર આપ્યો. આ માંદગી મહાવિરામનું નિમિત્ત બની અને સંવત 2031 અને કાર્તિક સુદી બીજ એટલે કે 27/11/1974 ના દિવસે માતાજી મહાનિર્વાણ પામ્યા. કરેણી મુકામે આઈમાની આજે પણ સમાધી છે.

પોષ સુદ બીજ માતાજીનો જન્મદિવસ આજે મઢડા અને ગુજરાત જ નહીં પણ વિદેશમાં વસતા સેવકો પણ ધામધૂમથી ઉજવે છે. આઈમાનો જન્મ દિવસ ‘સોનલબીજ’ તરીકે ઉજવાય છે.

એક અગત્યની વાત –

ગુજરાતમાં આમ તો બે સોનબાઈ થયા છે. પણ આ તો એ એક જ છે. તુલસીશ્યામ પાસે સરાકડિયાના નેસમાં પણ અઢારમી સદીમાં ચારણના નેસમાં આઈ સોનબાઈ થઈ ગયા. તેને જ આ મઢડાવાળા સોનબાઈમાના પિતાશ્રીના સપને આવેલ કહેલું કે હું તારા ઘરે અવતાર લઈશ અને રાશિ ગમે તે આવે પણ મારું નામ સોનબાઈ રાખજે.

આલેખન – હર્ષદ ગઢવી

error: Content is protected !!
Exit mobile version